Delhi Mumbai Expressway Accident: રાજસ્થાનના અલવર જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બુધવારે મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના મૌજપુર નજીક એક ચાલતી ટેક્સી કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા એક જ પરિવારના પાંચ સભ્યોના કરૂણ મોત નીપજ્યા હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓ, એક પુરુષ અને એક માસૂમ બાળકનો સમાવેશ થાય છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
સીએનજી લીકેજ બન્યું કાળ
મળતી માહિતી મુજબ, આ ભયાનક અકસ્માત રાત્રે 11 વાગ્યાની આસપાસ જંકશન નંબર 115/300 નજીક બન્યો હતો. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માતનો ભોગ બનેલી કાર સીએનજી અને પેટ્રોલ એમ બંને ઈંધણથી ચાલતી હતી. ચાલતી કારમાં અચાનક સીએનજી ગેસ લીકેજ થવાને કારણે આગ લાગી હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે જોતજોતામાં આખું વાહન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. કારની અંદર સવાર મુસાફરોને બહાર નીકળવાની કે બચવાની એક પણ તક મળી નહોતી.
માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યો હતો પરિવાર
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક પરિવાર મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના ચૈનપુરા ગામનો રહેવાસી હતો. તેઓ ભાડાની ટેક્સી કારમાં જમ્મુ ખાતે વૈષ્ણોદેવી મંદિરના દર્શન કરીને પોતાના વતન પરત ફરી રહ્યા હતા. મોડી રાતનો સમય હોવાથી અકસ્માત વખતે પરિવારના મોટાભાગના સભ્યો ઊંઘમાં હતા. અચાનક લાગેલી આગ અને ધુમાડાને કારણે કોઈ કાંઈ સમજે તે પહેલા જ પાંચેય સભ્યો જીવતા ભૂંજાયા હતા. કારનો ડ્રાઈવર વિનોદ કુમાર ચાલતી ગાડીમાંથી કૂદી જવામાં સફળ રહ્યો હતો, પરંતુ તે પણ 80 ટકા જેટલો દાઝી ગયો છે. તેની ગંભીર હાલતને જોતા તેને જયપુરની સવાઈ માનસિંહ (SMS) હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
હાડકાં પણ ઓગળી ગયા
આ અકસ્માત એટલો ભીષણ હતો કે સીએનજીની પ્રચંડ ગરમીમાં મૃતદેહો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા. લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ નેકી રામે જણાવ્યું હતું કે આગની ગરમી એટલી ઊંચી હતી કે તેનાથી માનવ હાડકાં પણ ઓગળી ગયા છે. ઘટનાસ્થળેથી મૃતદેહોના માત્ર અવશેષો અને થોડા હાડપિંજર જ મળી આવ્યા છે. આ સંજોગોમાં મૃતકોની ઓળખ કરવી અશક્ય હોવાથી પોલીસ હવે ડીએનએ (DNA) ટેસ્ટની મદદ લેશે.
ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે, તપાસ તેજ
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની બે ગાડીઓ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અલવરના એસપી સુધીર ચૌધરી સહિતના વરિષ્ઠ અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને તપાસના આદેશ આપ્યા છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને મેડિકલ ટીમને પણ ઘટનાસ્થળે બોલાવીને પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. પોલીસે મૃતક પરિવારના સભ્યોને જાણ કરી દીધી છે અને અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા કાયદેસરની તપાસ શરૂ કરી છે. એક તરફ સુખી પરિવારની ધાર્મિક યાત્રાનો અંત આ રીતે આવતા ચૈનપુરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.








