Fake IB Officer Case Vadodara AAP President Arrest: ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો એક ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. પોતાના જ પક્ષના કાર્યકરોને IBના અધિકારી તરીકે ઓળખ આપી ધમકી આપવાના કેસમાં આણંદ સાયબર ક્રાઈમ પોલીસે મહત્વની કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન મળેલા પુરાવાઓના આધારે પોલીસે વડોદરા શહેરના AAP પ્રમુખ અશોક ઓઝા તેમજ આણંદના રહેવાસી નીતિન પટેલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
શું છે સમગ્ર ઘટનાક્રમ?
આ સમગ્ર ઘટનાની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરીને ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમની પોસ્ટમાં જણાવાયું હતું કે, ગુજરાતમાં કેટલાક AAP કાર્યકરોને અજાણ્યા નંબર પરથી ફોન કરીને IB અધિકારી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ફોન કરનાર વ્યક્તિ દ્વારા કાર્યકરોને પક્ષની પ્રવૃત્તિઓથી દૂર રહેવા અથવા રાજકીય દબાણ સ્વીકારવા માટે ધમકીઓ આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે આણંદ જિલ્લાના AAP કાર્યકર કેશવ ચૌહાણને પણ સમાન પ્રકારનો ધમકીભર્યો કોલ મળ્યો હતો. જેના પગલે તેમણે આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
AAP પ્રમુખ જ નીકળ્યા નકલી IB
ફરિયાદ મળતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને કોલ કરનાર મોબાઈલ નંબરની ટેકનિકલ વિગતો એકત્રિત કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, જે નંબર પરથી ધમકીભર્યા કોલ કરવામાં આવ્યા હતા તે નંબર આણંદના નીતિન પટેલના નામે નોંધાયેલો હતો. પોલીસે નીતિન પટેલને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન મળેલી માહિતીથી સમગ્ર ઘટનાએ નવો વળાંક લીધો હતો. નીતિન પટેલે પોલીસને જણાવ્યું કે, આ નંબરનો ઉપયોગ વડોદરા AAP પ્રમુખ અશોક ઓઝા દ્વારા કરવામાં આવ્યો હતો અને ફોન કોલ પાછળ તેમનો જ હાથ હતો.
પક્ષની અંદર રાજકીય મતભેદો અને વર્ચસ્વની હરીફાઈ
પોલીસે આ નિવેદનના આધારે અશોક ઓઝાની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, કેશવ ચૌહાણ અને અશોક ઓઝા વચ્ચે પક્ષની અંદર રાજકીય મતભેદો અને વર્ચસ્વની હરીફાઈ ચાલી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પોતાના રાજકીય પ્રભાવને જાળવી રાખવા અને હરીફ નેતાને દબાણમાં લાવવા માટે અશોક ઓઝાએ નકલી IB અધિકારી બનીને ફોન કરવાનો કાવતરું રચ્યું હતું. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. જે મુદ્દાને લઈને શરૂઆતમાં વિરોધી પક્ષો પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી, તે અંતે પક્ષની આંતરિક ગતિવિધિઓ સાથે જોડાયેલો નીકળ્યો. હાલમાં આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સમગ્ર પ્રકરણની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને આવા ફોન કોલ્સ કેટલા લોકોને કરવામાં આવ્યા હતા તે અંગે પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.








