દક્ષિણ ગુજરાતમાં MSME, ઔદ્યોગિક અને ક્ષેત્રીય વિકાસને વેગ આપવા માટે તા1 અને 2 મે ના રોજ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ’ (VGRC)ની ત્રીજી આવૃત્તિ સુરતના આંગણે યોજાનાર છે. VGRCની યજમાની કરવાની તક મેળવનાર રાજ્યના આર્થિક પાટનગર સમા સુરત શહેરે તેની વ્યાવસાયિક સુઝબુઝ અને સાહસવૃત્તિથી દેશવિદેશમાં ખ્યાતિ મેળવી છે. હીરા અને કાપડ વ્યવસાયમાં વિશ્વ વિખ્યાત સુરતનો ‘જરી ઉદ્યોગ’ આ શહેરની સાહસિકતા, પ્રાચીન ગૌરવને ઉજાગર કરે છે.
સુરત શહેરના બેગમપુરા, વાડીફળિયા, ખટોદરા, ભાટેના અને નવાપુરા જેવા વિસ્તારો એક સદી પહેલા સુરતમાં વિકાસ પામેલા જરી ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો રહ્યા છે. મૂળ સુરતના ગોલા-કણબી, ખત્રી, રાણા અને પટેલ જ્ઞાતિના કુટુંબો અંદાજે120 વર્ષ જૂની વંશપરંપરાગત કલાને પેઢી દર પેઢી જીવંત રાખી રહ્યા છે. સુરતની ભૌગોલિક પરિસ્થતિ, અહીંની ભેજવાળી હવા જરીના તારના વણાટ અને ખેંચાણ માટે અત્યંત અનુકૂળ છે. આ જ કારણથી અહીં ઉત્પાદિત જરીની ગુણવત્તા સર્વોત્તમ રહે છે. વર્તમાન સમયમાં સુરતનો જરી ઉદ્યોગ આધુનિકતા સાથે કદમ મિલાવી રહ્યો છે. આજે સુરતમાં 80 ટકા જેટલું ઉત્પાદન સસ્તી અને ટકાઉ મેટાલિક યાર્ન જરીનું થાય છે, જ્યારે 20 ટકા સાચી જરીનું ઉત્પાદન જળવાઈ રહ્યું છે. સુરતના વરાછા, કતારગામ, પુણા વિસ્તારમાં આજે પણ હજારો ખટારા ઘરોમાં ચાલે છે. તેમજ હાલ સુરત ભારતનું 70% જરીનું ઉત્પાદન કરનારું શહેર છે. અને જરી ઉદ્યોગ માટે જરૂરી મશીનરીનું ઉત્પાદન પણ સુરતમાં જ થાય છે.
રિયલ ઝરીના ભાવ આસમાને
આ વિષે વધુ વિગત આપતા સુરત જરી મેન્યુફેક્ચરિંગ એસોશિયેશનના પ્રમુખ બંકીમચંદ્ર જરીવાલાએ કહ્યું કે, વર્ષોથી અસલ સોના-ચાંદીમાં તૈયાર કરાતી જરી ધીરે ધીરે તાંબા અને કાંસામાં બનતી થઇ અને રિઅલ જરીના વધતા ભાવને કારણે છેલ્લા 10-15વર્ષથી હવે પ્લાસ્ટીકના તારમાંથી પણ મેટાલિક યાર્ન જરીનું ઉત્પાદન શરૂ થયું છે. હાલ સુરતમાં જરી ઉદ્યોગના 800 જેટલા યુનિટ નોંધાયેલા છે. જેનું વર્ષે અંદાજે 800 થી 900 કરોડનું ટર્નઓવર છે. આ ઐતિહાસિક ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આશરે 2.50 લાખ લોકો જોડાયેલા છે, અને આજે પણ ‘જરી’ તેમની આજીવિકાનો મૂળ સ્ત્રોત છે.
જરીનો ઉપયોગ મુખ્યત્વે કિંમતી સાડીઓમાં તેમજ ભરતકામમાં કિંમતી પોષાક તૈયાર કરવામાં થાય છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં હાથવણાંટના કુશળ કારીગરો દ્વારા જરીમાંથી બનાવેલી કાંજીવરમ, કોચંપલ, ધર્મવરમ, બેંગ્લોરી કે બનારસી સિલ્કની સાડીઓ પ્રખ્યાત છે.
ઈતિહાસ
‘જરી’ ઉદ્યોગના તાર ભારતની પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. ઋગ્વેદ, રામાયણ અને મહાભારત જેવા આપણા પૌરાણિક ગ્રંથોમાં સોના-ચાંદીના તારમાંથી ગૂંથાયેલા વસ્ત્રોનો ઉલ્લેખ જોવા મળે છે. શ્રી રામ-સીતા અને શ્રી કૃષ્ણના ‘જરકસી જામા’ તથા ‘પીળા-પીતાંબર’ જેવા વસ્ત્રો સુરતની આ પરંપરાગત કલાની પ્રાચીનતાના સાક્ષી છે.
મેગેસ્થનીસ જેવા ગ્રીક વિદ્વાનોના લખાણોમાં પણ સોના-ચાંદીના તારથી બનેલા કાપડનો ઉલ્લેખ જોવા મળે છે. ખાસ કરીને મુઘલ શાસનનો સમયગાળો જરી ઉદ્યોગનો ‘સુવર્ણકાળ’ હતો. તે સમયે સુરત બંદર હોવાને કારણે અહીંની જરી અને તેમાંથી બનેલા 'કિનખાબ' કાપડની નિકાસ આરબ અને યુરોપિયન દેશોમાં થતી હતી. ઇજિપ્ત, અફઘાનિસ્તાન, ઈટાલી, જર્મની અને તુર્કીમાં વિશાળ બજાર મળ્યું હતું. સુરતના ચાવીરૂપ ભૌગોલિક સ્થાનના કારણે મળતા લાભોને ધ્યાનમાં લઈ ફ્રેંચ, ડચ, બ્રિટિશ અને પોર્ટુગીઝોએ પણ સુરતમાં જરીની ફેક્ટરીઓ સ્થાપી હતી.
સુરત હજ યાત્રા માટેનું પણ મહત્વનું કેન્દ્ર હતું. હજે જતા-આવતા યાત્રિકો સુરતમાં રોકાઈને જરી, કિનખાબ, બ્રોકેડ, તનછોઈ, સોનાની કિનાર અને ભરતકામ ખરીદતા. હાજી, શેખ અને મુઘલ બાદશાહોના આશ્રયને લીધે કારીગરોએ ચાંદી-સોનાના તારથી સુંદર બ્રોકેડ, કિનાર અને ભરતકામ બનાવ્યું.
જરીની બનાવટ અને પ્રકાર:
સૌ પ્રથમ ચાંદીના સળિયા પર સોનાની પત્તી વીંટાળી તેને ભઠ્ઠીમાં એકરસ થાય ત્યાં સુધી ગરમ કરી સોનામિશ્રિત સળિયો તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ‘તાણિયા’ યંત્ર દ્વારા તેમાંથી વાળ જેવા બારીક તાર ખેંચી, પાણીમાં ઠંડા પાડી તેને વિવિધ નવ પ્રક્રિયાઓ દ્વારા વધુ સુંવાળા બનાવી લોખંડના બોબિન પર વીંટવામાં આવે છે. આ પ્રક્રિયાથી એક તોલા ચાંદીમાંથી આશરે 1000 મીટર લાંબો બારીક તાર તૈયાર થાય છે. જેને અંતે પોલિશ કરી સૂક્ષ્મ છિદ્રોમાંથી પસાર કરીને ‘ધડા’ પર લપેટવામાં આવે છે, અને અસલી જરી બને છે. જરી-કસબમાં કાચામાલ તરીકે સોનુ, ચાંદી, તાંબુ, રેશમ, સૂતર, આર્ટ-સિલ્ક, રંગો, પોટેશિયમ સાઈનાઈડ વગેરે વપરાય છે.
ફિલ્મ અભિનેત્રી મુમતાઝનો ઘાઘરો ઝરીકામથી થયો હતો તૈયાર
જરીના મુખ્ય બે પ્રકાર છે: ‘અસલી’ (રિયલ જરી) જેમાં ચાંદીના તારનો ઉપયોગ થાય છે અને તેના પર સોનાનું પાણી ચડાવવામાં આવે છે. અને ‘હાફ ફાઇન જરી’, કે જેમાં તાંબા કે કાંસાના તાર પર ચાંદીનું ઈલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે. અને હવે મેટાલિક જરી, કે જે પોલિએસ્ટર ફિલ્મ પર મેટાલિક કોટિંગથી બને છે. જે વજનમાં હલકી અને કિંમતમાં ઓછી હોય છે. આજે 90% સાડીઓમાં આ જ વપરાય છે.
સુરતના જરી ઉદ્યોગને GI ટેગ(Geographical Indication)
સુરતના જરી ઉદ્યોગને તેની વિશિષ્ટતા અને ગુણવત્તા માટે ભારત સરકાર દ્વારા નવેમ્બર-2010 માં સત્તાવાર રીતે GI ટેગ પ્રાપ્ત થયો છે. આ ટેગનો મુખ્ય ઉદ્દેશ્ય સુરતની અસલી જરીના નામે થતી નકલી જરીના વેચાણને અટકાવવાનો અને સ્થાનિક કારીગરોના હિતોનું રક્ષણ કરવાનો છે.
વૈશ્વિક ઓળખ:
GI ટેગ મળ્યા બાદ સુરતની જરીને આંતરરાષ્ટ્રીય બજારમાં નવી ઓળખ મળી છે અને 'સુરત જરી ક્રાફ્ટ' લોગો દ્વારા ગ્રાહકો અસલી ઉત્પાદન ઓળખી શકે છે. વધુમાં કેન્દ્ર સરકારે વર્ષ 2025માં જરી બોર્ડર પરનો GST દર 12%થી ઘટાડીને 5%કર્યો છે, જેનાથી સુરતના કારીગરોને લાભ થયો છે.
ઐતિહાસિક અને રસપ્રદ વાતો:
• છત્રપતિ શિવાજી મહારાજે રાજ્યાભિષેક વખતે જે વસ્ત્રો પહેર્યા હતા એ સુરતની જરીના હતા.
• વર્ષ 1750માં સુરતમાં 1 લાખથી વધુ કારીગરો માત્ર જરી કામ કરતા હતા.
• ઈસ્ટ ઈન્ડિયા કંપની સુરતથી દર વર્ષે 30 લાખ રૂપિયાની જરી એક્સપોર્ટ કરતી હતી
ઝરી સાથે જોડાયેલા શબ્દો:
કસબ: ચપટી જરીનો તાર
સલમા: વાંકીચૂકી સ્પ્રિંગ જેવી જરી
સિતારા: નાના ટપકાંવાળી જરી
જરદોઝી: જરદોશી: જરી, મોતી, કુંદનથી કરેલું ભારે ભરતકામ
એકઝામિનર જરી ઉદ્યોગ કેન્દ્ર, સુરત: જરી ઉદ્યોગના વિકાસ તથા તેના હિતાર્થે રાજ્ય સરકારે સુરતમાં એક પ્રયોગશાળાની સ્થાપના કરી છે. જેમાં જરી કસબના તમામ આંશિક ભાગો તથા ગોલ્ડ થ્રેડનું પૃથક્કરણ કરવામાં આવે છે.
સુરત જરી વેપારી મહામંડળ: સુરત ખાતે જરી ઉદ્યોગના વિકાસ 1944માં આ મંડળની સ્થાપના થઈ હતી. આ સંસ્થા જરી ઉત્પાદકો અને વેપારીઓના અધિકારોના રક્ષણ માટે કામ કરે છે.








