શેરબજારમાં ચૂંટણીનાં પરિણામનું સુનામી આવ્યું: સેન્સેક્સ 6000 અંક તૂટ્યો, નિફ્ટી 1900 અંક ઘટ્યો; એક જ દિવસમાં 30 લાખ કરોડ ધોવાયા
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan04062024_075259_Stock new.webp)
- 04 Jun, 2024
એક તરફ દેશમાં લોકસભા ચૂંટણીના મતોની ગણતરી ચાલી રહી છે. તો બીજી તરફ જે રુઝાન આવી રહ્યાં છે, તે શેરબજારને પસંદ આવી રહ્યાં નથી. શેરબજારમાં કારોબારની શરૂઆતના ઘટાડા પછી જોતજોતામાં સુનામી આવ્યું. આ સમાચાર લખાયા ત્યાં સુધીમાં સેન્સેક્સ 6000 અંકથી વધુ ઘટીને કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 1900 અંકથી વધુ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો.
સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે સેન્સેક્સ 2500 અંક અને નિફ્ટી 733 અંકના વધારા સાથે બંધ થયો હતો. જોકે તેનાથી પણ વધુ ઝડપથી આજે બંને ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શેરબજારમાં આવેલા આ ઘટાડાના કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું છે અને બીએસઈ મીડકેપ મુજબ, તેમની લગભગ 30 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સ્વાહા થઈ ગઈ છે.
સ્ટોક માર્કેટમાં આવેલા સુનામીની વચ્ચે બીએસઈના 30માંથી 29 શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. એનટીપીસીના શેર 19.68 ટકા ઘટીને 314 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. આ સિવાય એસબીઆઈનો શેર 16.76 ટકા, પાવર ગ્રીડનો શેર 5.74 ટકા, ટાટા સ્ટીલનો શેર 9.99 ટકા, ટાટા મોટર્સનો શેર 9.96 ટકા, ભારતી એરટેલના શેર 9.84 ટકા, રિલાયન્સ 9.67 ટકા અને એચડીએફસી બેન્કના શેર 6.18 ટકા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
સોમવારે ભારતીય અબજપતિ ગૌતમ અદાણીની ભારતીય શેરબજારમાં લિસ્ટેડ તમામ કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. જે આજે ધરાશાયી થતા જોવા મળ્યા. બપોરે 12 વાગ્યે અદાણી પોર્ટ્સ 23 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝ 20 ટકા, અંબુજા સિમેન્ટ 20 ટકા, એનડીટીવી 20 ટકા, અદાણી પાવર 18 ટકા, અદાણી ગ્રીન એનર્જી 18 ટકા, અદાણી ટોટલ ગેસ 16 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
લોકસભા ચૂંટણી-2024 માટે પડેલા મતોની આજે ગણતરી થઈ રહી છે. આ પ્રક્રિયા 8 વાગ્યે શરૂ થઈ હતી. 19 એપ્રિલે મતદાન શરૂ થયું હતું, જે 1 જૂનના રોજ સમાપ્ત થયું હતું. સાત તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે ભાજપે આ વખતે 400 થી વધુ સૂત્રોચ્ચાર સાથે ચૂંટણીમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવવા માટે 25 થી વધુ વિરોધ પક્ષો એક મંચ પર એકઠા થયા હતા.
દરમિયાનમાં, 19 એપ્રિલથી શરૂ થયેલી 18મી લોકસભાની ચૂંટણીઓ માટે સાત કોઠા સમાન સાત તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને હવે સૌની નજર પરિણામ પર ટકેલી છે. દરેક તબક્કામાં સરેરાશ 60 ટકાની આસપાસ મતદાન થયું છે. જોકે બંગાળમાં સૌથી વધારે 70 ટકાની ઉપર મતદાન થયું છે. કુલ 543 બેઠકો માટે 8,000 કરતા વધુ ઉમેદવારો મેદાનમાં હતા. 97 કરોડ મતદારોમાંથી અંદાજે 32 કરોડ મતદારો મતદાનથી દૂર રહ્યાં છે અને 60થી 62 કરોડ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.