આજથી ચૈત્રી નવરાત્રિનો આરંભ : મહારાષ્ટ્રમાં ગુડી પડવાની ઉજવણી શક્તિ મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan09042024_045938_Untitled-2.jpg)
- 09 Apr, 2024
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો તેની સાથે હિન્દુઓના નવા વર્ષનો પણ આરંભ થયો છે. નવરાત્રીમાં શ્રદ્ધાળુઓ માતાજીની ભક્તિ તેમજ આરાધના કરે છે. ગુજરાતનાં ત્રણ મોટા મંદિરોમાં પણ આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ચોટીલા અને પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ મંદીરે આજે પરોઢિયેથી જ ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે.
હિન્દુઓ નવા વર્ષે મંદીરમાં દર્શન કરવા જાય છે,ખાસ કરીને મહારાષ્ટમાં આ દિવસને ગુડી પડવો તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તેઓ પૂજા અર્ચના કરે છે,સાથે ભગવાન પાસે સુખ,શાંતિ અને સમૃદ્ધિની કામના કરે છે, ઘરના વડીલોને નમસ્કાર કરીને તેમના આશીર્વાદ પણ લેવાની પરંપરા છે, ભગવાન શ્રી રામ વનવાસ પૂર્ણ કરી આ દિવસ અયોધ્યા પાછા આવ્યા હતા, તેથી ગુડી એટલે કે ધ્વજ ફરકાવીને તેમનું સ્વાગત કરવામાં આવે છે. આ પરંપરાઓની સાથે લોકો નવરાત્રીના પ્રથમ દિવસની ઉજવણી કરે છે.
ચૈત્રી નવરાત્રીમાં ઉપવાસ, એકટાણા કે નકોરડા ઉપવાસ કરીને પણ લોકો નવરાત્રીમાં માતાજીની આરાધના કરે છે. શ્રદ્ધાળુઓ ઘણા સંઘ સાથે ચાલીને મંદિરે દર્શન કરવા માટે આવે છે. સાથે પોતાના પરિવારજન સાથે પણ આ દિવસોમાં મંદિરે આવતા હોય છે. ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી નું હિન્દુ ધર્મમાં અનેરૂ મહત્વ છે. સૌરાષ્ટ્ર નું પ્રવેશ દ્વાર એટલે ચોટીલા જ્યાં ચામુંડા મંદિર આવેલું છે.
જ્યાં માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આવે છે. ગુજરાત તથા ગુજરાત બહારના લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા આવે છે અને માની ભક્તિ અને દર્શન કરે છે .ભકતો ચૂંદડી, શ્રીફળ, સાકર પ્રસાદ સ્વરૂપે ધરાવે છે.આ નવરાત્રી દરમિયાન વહેલી સવારે તેમજ સાંજે સૂર્યાસ્ત સમયે આરતી થાય છે. તો વળી મંદિર તરફથી લોકો માટે જમવાની ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. આ નવરાત્રી માં આઠમના દિવસે હવનનું આયોજન કરવામાં આવતું હોય છે.
ચૈત્રી નવરાત્રીનો પ્રારંભે વહેલી પરોઢથી જ યાત્રાધામ પાવાગઢમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભક્તો માં મહાકાળીના દર્શનાર્થે ઉમટી પડ્યા છે. વિગતો મુજબ મોડી રાતથી જ દર્શન કરવા ભક્તો પહોંચી ગયા હતા, રાત્રીના સમયથીજ ભજન-કીર્તનથી પાવાગઢ ગુંજી ઉઠ્યું હતું. સાથે આજે 4 વાગ્યે મંદિરના કપાટ ખુલતા જ વિશેષ મંગળા આરતી કરાઈ હતી. મંદિરમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીને વિશેષ શણગાર કરાયો હતો.
ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસે યાત્રાધામ અંબાજીમાં પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા.વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શને પહોંચ્યા છે. મંગળા આરતીમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી. અંબાજી મંદિર પરિસર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું. ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અંબાજી મંદિરમાં દર વર્ષે નવરાત્રીના પ્રથમ દિવસે સવારે સાડા નવ વાગ્યે ઘટ સ્થાપના કરવામાં આવશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ