શહેરમાં RTE હેઠળ 170 વિદ્યાર્થીઓના એડમિશન રદ : ખોટી આવક દર્શાવવાના મામલે શિક્ષણાધિકારીની કાર્યવાહી..
- 03 Apr, 2024
શહેરમાં આવકનું ખોટુ પ્રમાણપત્ર બનાવી આપનારાઓનો વેપલો પુષ્કળ પ્રમાણમાં વધ્યો છે, તેની સામે વાલીઓ પણ પોતાના બાળકોને નામાંકિત શાળામાં એડમિશન મેળવવા માટે ગમે તે કરી છૂટવા માટે તૈયાર હોય છે તેને કારણે જ ખોટી આવકના પ્રમાણપત્ર બનાવી આપનારા લોકો પણ શહેરમાં વધ્યા છે, આ મામલે અમદાવાદના શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,
તે મુજબ ખોટી આવકનું પ્રમાણપ્રત્ર મેળવીને શાળાઓમાં એડમિશન મેળવનાર વાલીઓ સામે પગલાં લેવાનું તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, અને RTE હેઠળ એડમિશન માટે ખોટી આવક દર્શાવનાર વિવિધ શાળાના કુલ 170 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. શાળાએ જિલ્લા શિક્ષણાધિકારીનું ધ્યાન દોરતા આ કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં શાળામાં RTEમાં ભણતા બાળકોના વાલીની આવક વધુ મળી આવી હતી. જેને પગલે આવા બાળકોના રેગ્યુલર એડમિશન કરવા વાલીઓને સૂચના અપાઇ હતી. RTE હેઠળ દર્શાવાતી આવક કરતા વધુ આવક મળી આવતા શાળાએ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી હતી ત્યાર બાદ ખોટી આવકનો ખુલાસો થતા 170 વિદ્યાર્થીના એડમિશન રદ કરવામાં આવ્યા છે.
રદ કરાયેલા એડમિશનમાં ઉદગમ સ્કૂલના 106 અને ગ્લોબલ સ્કૂલના 46 એડમિશન જ્યારે ઝેબર સ્કૂલના 10, આનંદ નિકેતન સ્કૂલના 6 એડમિશન રદ કરાયા છે. તેમજ એચ-3 વર્લ્ડ સ્કૂલમાં 1 એડમિશન રદ કરવામાં આવ્યા છે. ખોટી આવક દર્શાવનાર વાલીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. RTE એક એવો કાયદો છે કે જેનાથી હોશિયાર છતા આવકની દ્રષ્ટિએ નબળા વિદ્યાર્થીને સારામાં સારી સ્કૂલમાં સારામાં સારુ શિક્ષણ મળે.
RTEનો કાયદો 2009માં બન્યો જે બાદ ગુજરાતમાં 2012થી અમલી બન્યો હતો. RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવે છે, જેમાં ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને એડમિશન આપવામાં આવે છે. RTE હેઠળ એડમિશન માટે સંપત્તિ નહીં પરંતુ આવક જ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે અમદાવાદ સહિત રાજ્યમાં ક્યાંય પણ બંગલા કે હવેલીમાં રહેતી વ્યક્તિના બાળકને RTEમાં એડમિશન મળી શકે છે. જો કે આવક વધુ હોય તો તેના બાળકને RTE હેઠળ એડમિશન મળી શકે નહી.
આવકના દાખલા પણ કેટલાક વાલીઓ ખોટા બનાવીને પ્રવેશ મેળવે છે, ત્યારે સ્કૂલ દ્વારા ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવે અને ત્યારે ડોક્યુમેન્ટ ખોટા હોવાનું સાબિત થાય ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તેમનું એડમિશન રદ્દ કરવામાં આવે છે. આવકના ખોટા દાખલ માટે કોઈ પગલા લેવામાં આવતા નથીં માત્ર એડમિશન રદ્દ કરવાની જ શિક્ષણ અધિકારીને સત્તા આપવામાં આવી છે. આવકના દાખલા કચેરીમાંથી અરજીના આધારે બનાવી આપવામાં આવે છે. ત્યારે ખોટા દાખલ બનાવી આપનાર કે ખોટા દાખલા લેનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ