અમદાવાદમાં એક સપ્તાહમાં સ્વાઈન ફ્લૂના 60 કેસ : છેલ્લા મહિનામાં 232 કેસ સાથે પાણીજન્ય રોગચાળોમાં વધારો..
- 02 Apr, 2024
ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. આ સાથે જ રોગચાળો પણ વકરી રહ્યો છે. અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહમાં સ્વાઈન ફ્લૂના 60 કેસ નોંધાયા છે. છેલ્લા 1 મહિનામાં સ્વાઇન ફ્લૂના 232 કેસ નોંધાયા છે. ગત મહિને સ્વાઇન ફ્લૂના 110 કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષે માત્ર સ્વાઇન ફ્લૂના જ 380 કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂ સાથે પાણીજન્ય કેસમાં પણ વધારો નોંધાયો છે.
મ્યુનિ. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આવી બેવડી ઋતુ તેમજ વાસી-ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનાં ધૂમ વેચાણને પગલે ટાઇફોઇડ અને ઝાડાઉલ્ટીનાં કેસ વધવા પામ્યા છે. તેવી જ રીતે ગરમીનુ પ્રમાણ વધતાં પીવાનાં પાણીમાં ગટરનુ પાણી અને અન્ય અશુધ્ધિ ભળી જવાનાં કારણે પણ ટાઇફોઇડ, ઝાડાઉલ્ટી, કમળો તથા કોલેરાનાં કેસ નોંધવા પામ્યા છે. જેમાં માર્ચ મહિનામાં જ ઝાડાઉલ્ટીનાં સૌથી વધુ ૭૭૫ કેસ નોંધાયા છે. જે અગાઉનાં બે વર્ષ કરતાં વધુ છે.
તદઉપરાંત અત્યંત પ્રદુષિત પાણીનાં કારણે પૂર્વ પટ્ટામાં લાંભામાં એક, ઇન્દ્રપુરીમાં ૩, અમરાઇવાડીમાં એક, રામોલમાં એક અને દાણીલીમડાં એક તેમજ પશ્ચિમમાં નવા વાડજમાં એક મળી કુલ આઠ કેસ કોલેરાનાં નોંધાતાં મ્યુનિ.કમિશનરે પણ તેની ગંભીર નોંધ લઇ ઇજનેર ખાતાને તાબડતોબ પ્રદુષિત પાણીની સમસ્યા ડામવા લાઇનો બદલવા અને ગટર લાઇનો ડિસિલ્ટીંગ કરાવવા તેમજ હેલ્થ ખાતાને ઘરે ઘરે જઇ ચેકિંગ કરી દવા અને ક્લોરીનની ટિકડી વિતરણ સહિતની કામગીરી કરવા દોડાવ્યા હતા.
શહેરીજનોને આપવામાં આવતાં પાણીમાં ક્લોરીન ગેસ મિક્સ કરવામાં આવે છે, પરંતુ પોલ્યુશનનાં કારણે કેટલીય જગ્યાએ ક્લોરીન ગેસની અસર નહિવત થઇ જતી હોય છે. આથી મ્યુનિ. દ્વારા શહેરનાં તમામ વોર્ડનાં જુદા જુદા વિસ્તારોમાંથી દરરોજ પીવાનાં પાણીનાં સેમ્પલ લઇ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં એક તરફ મધરાત પછી ઠંડી અને બપોરે બળબળતી ગરમીનુ વાતાવરણ વ્યાપી જાય છે. તેના કારણે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતાં લોકોને શરદી, ખાંસી અને તાવ સહિત સ્વાઇન ફ્લુની અસર વર્તાઇ રહી છે. મ્યુનિ. ચોપડે ફક્ત માર્ચ મહિનામાં જ સ્વાઇન ફ્લુનાં ૨૩૨ કેસ નોંધાઇ ચૂક્યા છે. શહેરમાં સ્વાઇન ફ્લુનાં કેસ હાલમાં : પશ્ચિમ ઝોન 79, ઉ.પશ્ચિમ ઝોન 48, દ.પશ્ચિમ ઝોન 31, ઉત્તર ઝોન 28, દક્ષિણ ઝોન 24, પૂર્વ ઝોન 16, મધ્ય ઝોન 06 સાથે કુલ 232 કેસ નોંધાયા છે.
જ્યારે શહેરમાં પાણીજન્ય રોગચાળાની સ્થિતિ હાલમાં : ઝાડાઉલ્ટી 775, ટાઇફોઇડ 259, કમળો 112, કોલેરા 08 કેસ નોંધાયા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ