દેશવાસીઓ માટે મહત્વના સમાચાર: દેશમાં લાગુ થઈ શકે છે CAA..., જાહેર કરાશે નોટિફિકેશન ???
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan11032024_121225_WhatsApp Image 2024-03-11 at 5.41.58 PM.jpeg)
- 11 Mar, 2024
લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત નજીક આવી રહી છે ત્યારે દેશવાસીઓ માટે મોટા સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં મોટી અને મહત્વની જાહેરાત કરવા જઈ રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વડાપ્રધાન CAA સિવાય અન્ય કોઈપણ મુદ્દે મોટી જાહેરાત કરી શકે છે. આ સમાચાર આવ્યા બાદ અટકળોનું બજાર તેજ થઈ ગયું છે કે શું પીએમ મોદી કોઈ મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે.
કેન્દ્ર સરકાર દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવા જઈ રહી છે. સૂત્રોનું માનીએ તો કેન્દ્ર સરકાર સોમવારે રાત્રે તેનું નોટિફિકેશન જારી કરી શકે છે. આ પછી નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA આજથી જ દેશમાં લાગુ કરવામાં આવશે.સંસદ દ્વારા CAA પસાર થયાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે. હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા દેશમાં CAA લાગુ કરવા જઈ રહી છે.
ગૃહમંત્રી અમિત શાહે તેમના ચૂંટણી ભાષણોમાં ઘણી વખત નાગરિકતા સંશોધન કાયદો અથવા CAA લાગુ કરવાની વાત કરી છે. તેમણે જાહેરાત કરી હતી કે લોકસભા ચૂંટણી પહેલા તેનો અમલ કરવામાં આવશે. આવી સ્થિતિમાં સૂત્રોનું કહેવું છે કે ગૃહ મંત્રાલય દ્વારા તેના અમલીકરણની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે તેનું જાહેરનામું બહાર પાડવામાં આવી શકે છે
CAA હેઠળ, મુસ્લિમ સમુદાય સિવાય ત્રણ મુસ્લિમ બહુમતી પાડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે CAA સંબંધિત એક વેબ પોર્ટલ પણ તૈયાર કર્યું છે, જે નોટિફિકેશન પછી લોન્ચ કરવામાં આવશે. ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા લઘુમતીઓએ આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારની તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે. આ માટે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી વિસ્થાપિત લઘુમતીઓને કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં.
વર્ષ 2019માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2014 પહેલા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા છ લઘુમતીઓ (હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી)ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. નિયમો અનુસાર નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકારના હાથમાં રહેશે.
સંસદીય પ્રક્રિયાના નિયમો અનુસાર, કોઈપણ કાયદાના નિયમો રાષ્ટ્રપતિની સહમતિના 6 મહિનાની અંદર તૈયાર થવા જોઈએ. જો આમ ન થાય તો લોકસભા અને રાજ્યસભામાં ગૌણ વિધાન સમિતિઓ પાસેથી વિસ્તરણની માંગ કરવી જોઈએ. CAAના કિસ્સામાં, 2020 થી, ગૃહ મંત્રાલય નિયમો બનાવવા માટે નિયમિત અંતરાલે સંસદીય સમિતિઓ પાસેથી એક્સ્ટેંશન લઈ રહ્યું છે.
છેલ્લા બે વર્ષમાં, નવ રાજ્યોના 30 થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગૃહ સચિવોને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ ભારતીય નાગરિકત્વ આપવા માટે સત્તા આપવામાં આવી છે. 2021-22ના ગૃહ મંત્રાલયના વાર્ષિક અહેવાલ મુજબ, 1 એપ્રિલ, 2021 થી 31 ડિસેમ્બર, 2021 સુધી, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના આ બિન-મુસ્લિમ લઘુમતી સમુદાયોના કુલ 1,414 વિદેશીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.
પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવેલ 9 રાજ્યોમાં ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્ર છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ