ફ્રાંસનો નિર્ણય બનશે ત્રીજા વિશ્વ યુદ્ધનું કારણ : રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયા હવે યુક્રેન ઉપર પ્રચંડ હુમલો કરવાની તૈયારીમાં ...
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan28022024_052724_ukraine-war.webp)
- 28 Feb, 2024
લગભગ બે વર્ષ જેટલો સમય વહી ગયો હોવા છત્તા રશિયા યુક્રેન યુદ્ધ રોકાવાનું નામ લેતો નથી, બન્ને વચ્ચે હજી કોઈ સમાધાન સાંપડ્યું નથી. તેવામાં પેરિસમાં ૨૦ યુરોપીયન નેતાઓની મીટીંગ શરૂ થઇ છે. તેમાં ફ્રાંસના પ્રમુખ, ઇમેન્યુઅલ મેક્રોંન એ સ્પષ્ટત: કહ્યું છે કે તેઓ યુક્રેનમાં તેમના સૈનિકો મોકલવાનાં ઇન્કાર કરતા નથી. તેઓએ કહ્યું કે ભવિષ્યમાં યુક્રેનને બચાવવા માટે સૈનિકો મોકલવા જ પડશે.
આ સાથે તેઓને તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે હજી સુધી તો યુક્રેનમાં સૈનિકો મોકલવા માટે સહમતી સધાઈ નથી. પરંતુ રશિયાની આક્રમકતા જોતાં આવું પગલું ભરવું પડે તેમ લાગે છે. જો આમને આમ જ ચાલશે તો રશિયા યુક્રેન ઉપર પૂરેપૂરૃં હાવી થઇ જશે. અન્ય કેટલાયે દેશો માટે તે પરિસ્થિતિ પડકારરૂપ બનશે. ફ્રાંસના પ્રમુખે વધુમાં કહ્યું હવે રશિયાનું વલણ જ બદલાઈ ગયું છે.
તે યુક્રેનના વધુને વધુ પ્રાંતો ઉપર કબ્જો જમાવવા માગે છે. હવે તેની નજર માત્ર યુક્રેન ઉપર જ નથી. અન્ય દેશો ઉપર પણ છે. આ રીતે રશિયા ખૂબ મોટા ખતરાને આવકારી રહ્યું છે.દરમિયાન એવા પણ અહેવાલો મળ્યા છે કે, રશિયા હવે યુક્રેન ઉપર પ્રચંડ હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. તેથી મૂંઝાઈ ગયેલા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ મિત્ર દેશો પાસે મદદની દર્દ ભરી માગણી કરી છે.
આ બેઠકમાં જર્મનીના ચાન્સેલર ઑલેફ શુલ્ઝ યુક્રેનના વિદેશમંત્રી, લોર્ડ કેમેરાને, પોલેન્ડના પ્રેસિડેન્ટ અને ડચ પ્રાઈમીનીસ્ટર પણ ઉપસ્થિત હતા. ઉપરાંત, અમેરિકા અને કેનેડાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત હતા.આ બેઠકમાં પાંચ ક્ષેત્રો નિશ્ચિત કરાયાં છે કે જેમાં તત્કાળ એકશન લેવાની જરૂર છે. તે છે સાઇબર ડીફેન્સ, કોલેબરેટિવ પ્રોડકશન ઓફ મિલિટરી, હાર્ડવેર, યુક્રેનને સૈન્ય સહાય અને સીમાવર્તી પ્રદેશોનું રક્ષણ સમાવિષ્ટ છે. આ સાથે, અમેરિકાને પણ સંભળાવતાં કહ્યું કે પોતાનાં ભવિષ્ય માટે કોઈ પણ દેશની ચૂંટણીનાં પરિણામોની રાહ જોઈ ન શકાય. પોતાના હિતમાં તત્કાળ નિર્ણય લેવો જ જોઇએ.
ફ્રાંસના પ્રમુખે વધુમાં કહ્યું કે યુક્રેન માટે દારૂગોળા અને નાણાનું ફંડીંગ તત્કાળ વધારી જ દેવું પડે. રશિયા સામે તેની રક્ષણાત્મક શક્તિ વધારી દેવાની જરૂર છે. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિએ યુદ્ધ રોકવા પ્રયાસો કર્યા હતા. પરંતુ તે સફળ રહ્યા નથી. તેવામાં ભારતે યુનોની સલામતી સમિતિની વ્યવસ્થામાં પરિવર્તન કરવાની માગણી ફરીવાર કરી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ