સુપ્રીમ કોર્ટે સજાતીય લગ્નોને માન્યતા આપવા કર્યો ઇન્કાર, કાયદો ગઢવાનું કામ સંસદનું છે

- 17 Oct, 2023
સુપ્રીમ કોર્ટે મંગળવારે સમલૈંગિક વિવાહને (Same Sex Marriage) કાયદાકીય માન્યતા આપવાની અરજી પર નિર્ણય આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ જજની પીઠે આ મામલે નિર્ણય લીધો છે. પીઠના અન્ય સભ્યોમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હા શામેલ છે.
સમલૈંગિક લગ્ન પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપી રહી છે. સુપ્રીમ કોર્ટની 5 જજની બેંચનો નિર્ણય વિભાજિત છે. CJI DY ચંદ્રચુડે પહેલા પોતાનો ચુકાદો આપ્યો અને ગે લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કર્યો. CJIએ કહ્યું કે આ સંસદના અધિકારક્ષેત્રનો મામલો છે. જોકે, CJIએ ગે કપલને બાળક દત્તક લેવાનો અધિકાર આપ્યો છે. CJIએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમલૈંગિકો માટે યોગ્ય પગલાં લેવાનો આદેશ આપ્યો છે.
આ કેસમાં ચાર નિર્ણયો છે. કેટલાક સહમતી તરફના છે અને કેટલાક અસહમતી તરફના છે.
આ કોર્ટને કેસની સુનાવણી કરવાનો અધિકાર છે.
સમલૈંગિકતા એ એક પ્રાકૃતિક ઘટના છે જે ભારતમાં સદીઓથી ચાલતી આવે છે. તે ફક્ત શહેરી વિચારધારા નથી.
સરકારને નિર્દેશ આપતા જણાવ્યું કે, એક સમિતિની રચના થવી જોઈએ જે સમલૈંગિક યુગલોને રાશન કાર્ડમાં પરિવાર તરીકે સામેલ કરવા, જોઈન્ટ બેંક ખાતા માટે નોમિનેશન, પેન્શન સંબંધિત અધિકારો સુનિશ્ચિત કરવા, ગ્રેચ્યુઈટી વગેરે મુદ્દાઓ પર વિચાર કરી નિયમ તૈયાર કરે.
બાળક દત્તક લેવા પર પણ ટિપ્પણી કરતા કહ્યું કે, અપરિણીત યુગલોને દત્તક લેતા અટકાવતી જોગવાઈઓ ન હોવી જોઈએ તે અનુચ્છેદ 15નું ઉલ્લંઘન કરે છે. આ સિવાય તે સમલૈંગિક યુગલો સાથે પણ એક પ્રકારનો ભેદભાવ કરે છે.
સમલૈંગિક લગ્નને કાનૂની દરજ્જો આપવો જોઈએ : CJI
સ્પેશિયલ મેરેજ એક્ટ વિવિધ ધર્મ અને જાતિના લોકોને લગ્ન કરવાની મંજૂરી આપવા માટે બનાવવામાં આવ્યો હતો. સમલૈંગિક લગ્ન માટે તેને રદ્દ કરવું ખોટું હશે. જો આ કાયદા હેઠળ સમલૈંગિક લગ્નને દરજ્જો આપવામાં આવશે, તો તેની અસર અન્ય કાયદાઓને પણ થશે. આ તમામ બાબતો પર સંસદને ધ્યાન આપવું પડશે. સરકારે આવા સંબંધોને કાનૂની દરજ્જો આપવો જોઈએ, જેથી તેમને જરૂરી કાયદાકીય અધિકારો પણ મળી શકે. સુનાવણી દરમિયાન સરકારે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં આ માટે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
સમલૈંગિકતા એ માત્ર શહેરી ખ્યાલ નથી
CJI DY ચંદ્રચુડએ કહ્યું કે, શું સમલૈંગિકતા માત્ર એક શહેરી ખ્યાલ છે? તે કહેવું યોગ્ય નથી કે આ માત્ર શહેરી વિસ્તારો પૂરતું મર્યાદિત છે.