જંતરમંતર ખાતે પણ આંદોલન કરી શકાય: આંદોલનકારી ખેડૂતોને અપીલ...
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan27022024_102354_WhatsApp Image 2024-02-23 at 7.27.51 PM.jpeg)
- 27 Feb, 2024
ચૂંટણીઓ નજીક આવે અને સરકારનું નાક દબાવવાનું શરૂ થઇ જાય એમ પંજાબના ખેડૂતોએ લોકસભાની ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે ફરીએકવાર ચલો દિલ્હી...નું એલાન આપીને દિલ્હી જવાના રસ્તે કૂચ કરતાં તેમને રોકવા માટે હરિયાણા સરકાર અને પોલીસ દ્વારા જે પગલા ભરવામાં આવ્યાં ખાસ કરીને રોડ પર મોટા મોટા લોખંડના ખિલ્લા, સિમેન્ટની દિવાલો, અન્ય આડશો અને એ બધાને પાર કરીને કદાજ ખેડૂતો આવી પહોંચે તો તેમને રોકવા સુરક્ષા દળોની આખી કતાર દિવાલ બનીને હાથમાં બંદૂકો લઇને ખડે પગે તૈનાત. એ દ્રશ્યો જોઇને ઘણાંએ તેની ટીકા કરી. પણ આવા દ્રશ્યો બે વર્ષ અગાઉ પણ દિલ્હીની બોર્ડર પર જોવા મળ્યા હતા. સામ સામે ઘર્ષને બદલે વાતચીતથી માંગણીનો નિકાલ આવે તો તેમાં બન્નેનું માન સન્માન જળવાઇ શકે એ એકદમ દિવાની જેમ સ્પષ્ટ છે.
ગઇ વખતે 3 કૃષિ કાયદાઓ રદ્દ કરવાની માંગ સાથે શરૂ થયેલુ આંદોલન એક વર્ષ સુધી રસ્તા પર ચાલ્યું હતું અને મિડિયા અહેવાલ પ્રમાણે 700 કિસાનોના તેમાં મોત થયા હતા. જો કે સરકારે એ 3 વિવાદી કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરતાં આંદોલન સમેટાયું પણ ખેડૂત સંગઠનોનો દાવો છે કે સરકારે વચન મુજબ એ વિવાદી કાયદાઓ પરત ખેંચ્યા નથી પણ મુલત્વી રાખ્યા છે. અને નવેસરથી આંદોલનની શરૂઆત ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે થઇ છે. જો કે તેમાં ગોળી વાગતા એક યુવા કિસાનનું મોત થયું હોવાનો દાવો સંગઠનોએ કર્યો છે.
આરોપ એવો છે કે આ નવેસરથી શરૂ થયેલા કિસાન આંદોલનની પાછળ પંજાબ સરકારની ઠીલી નીતિ છે. કેમ કે આખો મોરચો પંજાબ અને હરિયાણાની બોર્ડર પર છે. હરિયાણા પોલીસે પંજાબ પોલીસને વિનંતી કરી છે કે તેઓ કાયદો-વ્યવસ્થા માટે પોતાના રાજ્યના ખેડૂતોને ત્યાંથી દૂર કરે. પરંતુ એવુ કાંઇ થયું નથી. ઉલટાનું રોડ પર થોપાયેલા લોખંડના ખિલાઓને કચડી નાંખવા ખેડૂતો તોપના લોખડના પેડાવાળું કોઇ મશીન લઇને પહોંચ્યા હતા. પરંતુ હરિયાણા પોલીસે ટિયરગેસનો મારો ચલાવીને તેમને રોક્યા છે. ક્યાં સુધી તેઓ સડક પર રહેશે તે કિસાન સંગઠન જાણે છે અને કદાજ આઇબીના માધ્યમથી સરકાર પણ જાણતી હશે.
આંદોલન કરવાનો લોકશાહીમાં મૂળભૂત અધિકાર છે અને તેનું રક્ષણ થવુ જરૂરી છે. પણ કિસાન સંગઠનોનો દાવો છે કે પોલીસ તેમની સાથે ગેરવર્તન કરી રહી છે, ગામેગામ જઇને આંદોલનમાં ભાગ ન લેવા દબાણ કરી રહી છે અને જો આંદોલનમાં ભાગ લેવા ટ્રેક્ટર વગેરેનો ઉપયોગ કર્યો તો જપ્ત કરવાની સાથે પાસપોર્ટ રદ્દ કરાશે.
સરકાર જાણે છે કે આંદોલનકારી શીખ કિસાનો અને તેમના પરિવાર માટે પાસપોર્ટ કેટલુ મહત્વનું છે. તેથી પાસપોર્ટની ચીમકી આપવામાં આવી તેમ છતાં આંદોલનમાં ખેડૂતોની સંખ્યા ઘટવાને બદલે વધી છે અને તેઓ જાણે કે મહિનાઓ સુધી આંદોલન કરવાના મૂડમાં હોય તેમ જણાતા હોવાથી ખેડૂતોએ મંત્રણા દ્વારા સમસ્યાનો હલ લાવવાનો પ્રયાસ કરવો જોઇએ. એક કિસાનનું મોત થયું છે. ગઇ વખતે 700 કિસાનોના મોત થયા છે. તે જોતાં આ વખતે આવુ કાંઇ ન બને તે માટે મંત્રણાનું ટેબલ સડક પર આંદોલન કરતાં બહેતર છે.
આંદોલનકારી ખેડૂતોમાં મોટા ભાગના યુવાઓ વધારે છે. તેમનો જોશ અને જુસ્સો વધારે હોય તે સ્વાભાવિક છે. ટિયરગેસથી બચવાના ઉપાયો તરત શોધી કાઢ્યા, લોખંડના ખિલાઓને ઉખેડી ફેંકવાનું મશીન લઇ આવ્યાં પણ એટલો જોશ અને જુસ્સો જો તેઓ ખેતરમાં બતાવે તો વધુ ઉપજ થશે, વધુ ઉપજ થતાં વધુ આવક થશે અને સારી રીતે જીવન જીવી શક્શે. પરંતુ તેના બદલે તેઓ પોતાની તાકાત સડક આંદોલનમાં વેડફી રહ્યાં છે એમ કૃષિક્ષેત્રના જાણકારોનું માનવુ છે.
પંજાબ સરકારે પણ પોતાના રાજ્યના ખેડૂતો પૈકી કોઇનું આંદોલનમાં મોત ન થાય તે માટે તેમને સમજાવવા જોઇએ અને સડકને બદલે દિલ્હીના જંતરમંતર સ્થળે મહિલા પહેલવાનોની જેમ વિરોધ પ્રદર્શન કરવુ જોઇએ.એમાં સરકારને કોઇ વાંધો નથી. તેમની વાત બોર્ડરથી સરકાર સુધી પહોંચશે તો જંતરમંતર પ્રદર્શન સ્થળેથી પણ સરકાર સુધી પહોંચશે. એ પહેલા કે કોઇ અન્ય કિસાન કે કિસાનોનું ધરણાં દેખાવોના સ્થળે મોત થાય તે પહેલાં જાહેર સડકને બદલે દિલ્હીમાં જ્યાં પ્રદર્શનની મંજૂરી છે એવા સ્થળે ધરણાં દેખાવો અને આંદોલન કરશે તો સેંકડોને હેરાન ન થવુ પડે. હે.., કિસાનભાઇઓ, શું આંદોલનનું જગ્યા બદલીને દિલ્હીની અંદર જ જંતરમંતર સ્થળે ન કરી શકાય..?!!
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ