વિરોધ વચ્ચે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી : શુભમુર્હુતમાં રૂપાણી અને દોશી રહ્યા હાજર...
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan16042024_091235_WhatsApp Image 2024-04-16 at 2.42.02 PM.jpeg)
- 16 Apr, 2024
ગુજરાતમાં સૌથી ચર્ચાસ્પદ બની ગયેલી રાજકોટ લોકસભા બેઠક પર આજે ક્ષત્રિય સમાજના જબરા વિરોધ વચ્ચે પણ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ જબરજસ્ત રોડ-શો-શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી હતી. અગાઉ એક ચુંટણી પ્રચારના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ અંગે અત્યંત અપમાનજનક વિધાનો કર્યા બાદ માફી માફીના લાંબા દૌરમાં પણ ગઈરાત્રી સુધી ક્ષત્રિયો સાથેના સમાધાનના પ્રયાસો નિષ્ફળ નિવડયા હતા.
હાલમાં ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે , ત્યારે સોમવારે મોડી રાતે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક મળી હતી. આ બેઠક બે કલાક સુધી ચાલી હતી. બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી હતી અને કહ્યું હતું કે સમગ્ર સમાજની એક જ માગ છે. ક્ષત્રિય સમાજના આગેવાને બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે બેઠક બાદ કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. અમે અમારી માગ પર અડગ છીએ અને રૂપાલાની ટિકિટ રદ થાય તે સિવાય કોઈ વાત ચલાવી લેવામાં આવશે નહીં
ભાજપે પણ ક્ષત્રિય સમાજની રૂપાલાની ટિકીટ રદ કરોની ક્ષત્રિય સમાજની માંગણી ફગાવીને તેમને ઉમેદવાર તરીકે યથાવત રાખતા આજે તેઓએ રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવતા હવે આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યા છે. આજે રૂપાલાએ જાગનાથ મંદિરે દર્શન કર્યા બાદ રોડ-શોનો પ્રારંભ કર્યો હતો. જેમાં પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી- ભાજપ પ્રદેશ શહેર પ્રમુખ મુકેશ દોશી પણ જોડાયા હતા.
કેસરી સાડીમાં સજજ બહેનો તથા સાફામાં સજજ ભાજપના કાર્યકર્તાઓ અને ટેકેદારોના જબરા સમૂહ સાથે રૂપાલાએ રોડ-શો કર્યા હતા અને બહુમાળી પાસે જાહેરસભાને સંબોધીત કરીને રાજકોટમાં તેમના પ્રચંડ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બપોરે વિજય મુર્હુતમાં રૂપાલાએ તેમના પાંચ ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવતા હવે આ એક તબકકો પુરો થયો છે અને હવે ક્ષત્રિય સમાજ પર સૌની નજર છે.
છેલ્લા કેટલાક દિવસથી પરસોતમભાઈ રૂપાલાના રાજકોટ સહિતના કાર્યક્રમોનું ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન પણ થયા હતા જયારે મોદી પરિવારના કાર્યક્રમનું ક્ષત્રિય સમાજ જે રીતે રૂપાલાની ટિકીટ સામે વિરોધ કર્યો તે અંગે પણ ભાજપનું મોવડીમંડળ ચિંતીત હતું અને ગાંધીનગરથી સમાધાનના પ્રયાસો થયા હતા.
પરંતુ ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકીટ રદ ન થાય તો કોઈ સમાધાનનો ઈન્કાર કરતા અંતે ભાજપે પડયા તેવા દેવાશે તે નિતી અપનાવીને પરસોતમ રૂપાલાને ફોર્મ ભરવા માટે લીલીઝંડી આપી દીધી હતી અને આજે શક્તિપ્રદર્શન પણ કર્યુ હતું. જેમાં રાજકોટ શહેરમાંથી ભાજપના કાર્યકર્તાઓને મહતમ સંખ્યામાં આવવા પણ સૂચના અપાઈ છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ