ક્ષત્રિયોના અલ્ટીમેટમથી સંગઠનમાં ચિંતા : 16મીએ રૂપાલા ઉમેદવારી નોંધવા તૈયાર
- 15 Apr, 2024
ગુજરાત રાજકારણમાં ખાસ કરીને રાજકોટ બેઠક માટે આગામી ચાર દિવસ મહત્વની બની રહે તેમ છે કેમકે રાજકોટ નજીક મળેલી સભામાં ક્ષત્રિયો ઉમટી પડ્યા તે જોઈને સરકાર અને સંઘઠનમાં ચિતાની લાગણી સર્જાઇ છે. તે ઉપરાંત ચાર દિવસના અલ્ટિમેટમની વચ્ચે 16મીએ પરશોતમ રૂપાલા ઉમેદવારી નોંધવાના છે, ત્યારે ક્ષત્રિય સમાજ કાંઈક નવા જૂની કરવાના લડાયક મૂડમાં હોવાનું એક ચિત્ર ઉપસી રહ્યું છે.
રાજકોટના મોરબી રોડ પર શહેરથી 15 કિ.મી.દૂર રતનપર ખાતે ખુલ્લા મેદાનમાં ચાર કલાક ચાલેલા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં અભૂતપૂર્વ જનસેલાબ વચ્ચે વક્તાઓએ એક સૂરમાં ભાજપને લલકાર કરીને 19 સુધીમાં રૂપાલાની ટિકીટ રદ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. તમામ ક્ષત્રિય વક્તાઓએ એવી ઘોષણા કરી હતી કે જો 19ના સાંજે ફોર્મ પાછુ ખેંચવાનો સમય પૂરો થયે રૂપાલા ચૂંટણી લડતા હશે
તો આ આંદોલન માત્ર તેમના એક વિરુદ્ધ નહીં પણ ભાજપ વિરુધ્ધનું થશે અને આંદોલનની આ આગ વધુ ભભુકીને તેની જવાળાઓ ગુજરાતની તમામ 26 બેઠકો સુધી તથા સમગ્ર દેશમાં ફેલાશે તેવી ચેતવણી ઉચ્ચારી હતી. 19થી આંદોલન ભાગ-2 શરુ કરાશે. પોલીસના અંદાજ મૂજબ આશરે એકથી સવા લાખની મેદની હતી જ્યારે આયોજકોના મતે 2 લાખથી વધુ ક્ષત્રિયો ઉમટ્યા હતા.
રતનપુરમાં રીતસરનો માનવ સાગર ઘુઘવ્યો હતો. જેમના નામ પાછળ સિંહ લાગે છે તેવા ક્ષત્રિયો સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં તથા હજારો ક્ષત્રાણીઓ કેસરી સાડી પહેરીને ઉમટી પડ્યા હતા. ખુદ વક્તાઓએ કહ્યા મૂજબ 75 વર્ષમાં નથી જોવા મળી તેવી ઐતહાસિક એક્તાના દર્શન આજે થયા છે અમારા સાલિયાણા ગયા, રજવાડા આપ્યા, ટિકીટ ન આપી, મંત્રીપદ ગયાછતાં અમે ચૂપ રહ્યા પરંતુ, મર્યાદા નથી તેવા પરશોતમ રૂપાલાના કારણે, તેણે રોટી બેટીના વ્યવહાર કર્યાની ખોટી ટીપ્પણી કરતા સમગ્ર ક્ષત્રિય સમાજનું આ સ્વયંભુ આંદોલન શરુ થયું છે. આ આંદોલનમાં કોઈનો પણ દોરીસંચાર નથી, તે થઈ શકે તેમ નથી. કોઈ રાજકીય પાર્ટી નથી. પરંતુ, સમાજનું સ્વયંભુ આંદોલન છે અને અમારી કોર કમિટી પણ આંદોલનને માત્ર માર્ગદર્શન આપવા માટે છે કોઈ આંદોલન અટકાવી શકે તેમ નથી.
ભાજપને રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની ટિકીટ કાપવાની એકમાત્ર માગ સાથે યોજાયેલા આ સંમેલનમાં માથા વાઢવાનો નહીં પણ માથા ગણાવવાનો સમય છે તેવા સૂત્ર સાથે માથા ગણ્યા ગણાય નહીં એટલા જોવા મળ્યા હતા. ક્ષત્રિય આંદોલનની સંકલન સમિતિના રમજુભાએ કહ્યું કે રુપલાએ બફાટ કર્યા બાદ માફીનો માત્ર ડોળ કર્યો છે પણ જેમનો પ્રશ્ન હતો તે સમાજને પૂછ્યું જ નહીં. આ સ્વયંભુ આંદોલન છે તેમાં કોઈ રાજકારણીનો દોરી સંચાર નથી અને થઇ શકે તેમ પણ નથી. આ પૂર્વ આયોજિત લડત પણ નથી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ