કાશીમાં વોટિંગના દિવસે PM ધ્યાનમાં હશે: સ્વામી વિવેકાનંદની ધ્યાન કરવાની જગ્યાએ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ સુધી ધ્યાન કરશે
- 28 May, 2024
લોકસભા ચૂંટણી 2024નાં છેલ્લા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુંની મુલાકાત લેશે. આ દરમિયાન પીએમ મોદી કન્યાકુમારીના વિવેકાનંદ રોક મેમોરિયલ પર ધ્યાન કરશે. પીએમ મોદીનો આ કન્યાકુમારી પ્રવાસ 30 મેથી 1 જૂન સુધીનો રહેશે. પીએમ મોદી વિવેકાનંદ રોક મેમોરિયલ પર 30 મેની સાંજથી 1 જૂનની સાંજ સુધી ધ્યાન કરશે. આ મંડપ તે જ જગ્યાએ બન્યો છે, જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન કર્યું હતું.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન અંતિમ તબક્કાના મતદાનના સમયે પીએમ મોદી કેદારનાથ ગયા હતા. આ દરમિયાન તેમણે રુદ્ર ગુફામાં ધ્યાન કર્યું હતું. વર્ષ 2014માં તેમણે શિવાજીના પ્રતાપગઢની મુલાકાત લીધી હતી. 1 જૂનના રોજ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે. અધિકારિક કાર્યક્રમ અનુસાર આ પહેલા 30 મેની સવારે 11 વાગ્યે પીએમ મોદી હોશિયારપુર ચૂંટણી સભાને સંબોધિત કરશે. તે પછીથી તેઓ તામિલનાડુ જશે અને ત્યાં જ રાત્રિ રોકાણ કરશે.
ઉલ્લેખનીય છે કે કન્યાકુમારીમાં જ સ્વામી વિવેકાનંદને ભારત માતાના દર્શન થયા હતા. આ શિલાનો સ્વામી વિવેકાનંદના જીવન પર મોટ પ્રભાવ પડ્યો હતો. સ્વામી વિવેકાનંદ સમગ્ર દેશમાં ભ્રમણ પછી અહીં પહોંચ્યા અને ત્રણ દિવસ સુધી તપ કર્યું અને વિકસિત ભારતનું સપનું જોયું.
શાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે દેવી પાર્વતી પણ તે જ જગ્યાએ એક પગ પર બેસીને ભગવાન શિવની પ્રતિક્ષા કરતી રહી હતી. નોંધનીય છે કે કન્યાકુમારી ભારતનો દક્ષિણનો છેડો છે. આ સિવાય આ જગ્યાએ ભારતના પૂર્વી અને પશ્ચિમી તટની રેખાઓ મળે છે. તે હિન્દમહાસાગર, બંગાળની ખાંડી અને અરબ સાગરને મળવાનું કેન્દ્ર બિદું પણ છે.